ભરૂચ:
ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં મકાનના મોટા ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.
આગ દરમિયાન અંદર રહેલો ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાતા સ્થાનિક લોકો દોડતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઘટનાની જાણ થતાં ગામલોકોએ પ્રાથમિક તબક્કે પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા સ્થિતિ ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં અબ્દુલ ઐયુબ ભોલીયા, બિલાલ પરસોત્તમ, અબ્દુલ પરસોત્તમ, સફવાન ખત્રી તથા હારૂન ખત્રી દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનાને પગલે કંથારિયા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાના સાચા કારણો શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
