ભરૂચ : ભાવનગર જિલ્લાના સિદસર (25 વારિયા) ખાતે ગેરકાયદે ચાલતી મદ્રેસા કેસમાં ઝડપાયેલા મૌલાના મહમદ સફીક અબ્બાસ મહેડીયાએ બે વર્ષ અગાઉ ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત જામીયા ઉલમુલ કુરઆન મદ્રેસામાં અભ્યાસ કર્યો હતો તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવતાં ભાવનગર એસઓજીની ટીમ જંબુસર પહોંચી હતી.
સ્થાનિક પોલીસને સાથે રાખીને એસઓજીની ટીમે જામીયા ઉલમુલ કુરઆન મદ્રેસામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહમદ સફીકના સંપર્કો, અભ્યાસનો સમયગાળો તેમજ નાણાકીય વ્યવહારો અંગે માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ વાંધાજનક સાહિત્ય કે શંકાસ્પદ સામગ્રી મળી આવી હોવાની સત્તાવાર પુષ્ટિ પોલીસે કરી નથી.
ઉલ્લેખનીય છે કે ભાવનગરના સિદસર ખાતે ગેરકાયદે ચાલતી મદ્રેસા પર એસઓજી, સંયુક્ત કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન સહિતની ટીમોએ દરોડો પાડી મૌલાના મહમદ સફીક અબ્બાસ મહેડીયાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ઉર્દૂ અને અરેબિક ભાષાના વાંધાજનક સાહિત્ય તેમજ 60 પાનાની ડાયરી સહિતની સામગ્રી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ કેસમાં મદ્રેસા ગેરકાયદે રીતે બનાવવાના આરોપસર ભાવનગરના યુસુફ આરીફ મારફાણી અને અનસ મોહંમદસિદ્દીક લાખાણીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે મદ્રેસાના સંચાલન, નાણાકીય સ્ત્રોતો અને અન્ય સંભવિત સંપર્કોની તપાસ આગળ વધારી રહી છે.
જંબુસરની મદ્રેસામાં થયેલી તપાસને લઈને હાલ સુધી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વાંધાજનક પુરાવા મળ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થશે.
