ભરૂચ જિલ્લામાં અષાઢ મહિનામાં મેઘરાજાએ આફત ઉભી કરી છે. છેલ્લા ૪૮ કલાકથી જિલ્લામાં સતત વરસાદી માહોલ રહેવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં પાણી ભરવાની સ્થિતી ઉભી થઈ છે. ત્યારે ભારે વરસાદને કારણે જિલ્લાના ત્રણ તાલુકા વાલિયા, નેત્રંગ તેમજ હાંસોટમાંથી પસાર થતી કીમ નદી ઓવર ફ્લો થતાં આસપાસના ગામમાં પાણી ફરી વળ્યાં છે. જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં અંદાજે ૧૩૩૫ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.વાલિયામાં સ્થિતી વધુ વિકટ હોવાને કારણે ત્યાં એનડીઆરએફની એક ટીમ ઉતારવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લાં ૪૮ કલાકથી સતત વરસાદી માહોલ રહ્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં તેમજ સોસાયટી વિસ્તારમાં પાણીનો નિકાલ તુરંત ન થઈ શકતાં પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.બીજી તરફ ભરૂચ જિલ્લામાં વાલિયા, નેત્રંગ તેમજ હાંસોટ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ઉપરવાસમાંથી પાણીનો આવરો થતાં નદી ઓવરફ્લો થયો છે. બીજી તરફ ભરૂચજિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ગઈકાલના સવારના ૬ વાગ્યાથી શનિવારે સવારના ૬ વાગ્યા સુધીના ગાળામાં નેત્રંગમાં અંદાજિત ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે અન્ય તાલુકાઓમાં પણ ૩થી ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચ શહેરમાં પણ ૨૪ કલાકમાં કુલ ૬ ઈંચ વરસાદ પડતાં સોસાયટીઓમાં પાણી ભરાયાં હતાં.
કિમ નદીમાં રાત્રીના સમયે અચાનક પાણીનો આવરો વધતાં નેત્રંગ, વાલિયા તેમજ હાંસોટના નિચાણવાળા ગામોમાં પાણી ભરવા લાગ્યાં હતાં. વહીવટી તંત્રે પૂર્વ તૈયારી રાખી વિસ્તારમાં રહેતાં કુલ ૧૩૩૫ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જેમાં વાલીયા તાલુકામાંથી ૯૯૦, નેત્રંગ તાલુકામાંથી આગમચેતીના ભાગરુપે ૧૨૭ તથા હાંસોટ તાલુકાના અસરગસ્ત ગામોમાંથી ૨૧૮ લોકોને સુરક્ષિત સ્થળે આશરો આપવામાં આવ્યો હતો.
