વાંકલ: ઉમરપાડા-માંગરોળ પંથકમાં દીપડાના દેખાવા અને હુમલાની ઘટનાઓ સતત વધતી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ઉમરપાડા તાલુકાના આમલીદાબડા ગામમાં વહેલી સવારે ઘર નજીક બાંધેલી ગાયનું દીપડાએ મારણ કરતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.
માહિતી મુજબ, પશુપાલક બિપિન વસાવા ની ગાય પર દીપડાએ હુમલો કરી તેને ફાડી ખાધી હતી. ઘટનાને પગલે પશુપાલકોમાં ચિંતા વધી ગઈ છે. ગામ નજીક નદી અને જંગલ વિસ્તાર હોવાથી દીપડા વારંવાર શિકારની શોધમાં વસાહતી વિસ્તારમાં ઘૂસી આવતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ દીપડાએ પશુપાલકો તેમજ વન વિભાગની ટીમ પર હુમલો કર્યો હોવાના બનાવો બની ચૂક્યા છે. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સરકાર તરફથી મળતા વળતર માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે દીપડો વધુ હુમલાખોર અને નરભક્ષી બને તે પહેલાં તેને પાંજરે પુરવામાં આવે. બીજી તરફ વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ ગ્રામજનોને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
વન વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈ જંગલી પ્રાણી અથવા શંકાસ્પદ હલચલ નજરે પડે તો તાત્કાલિક વન વિભાગની કચેરીનો સંપર્ક કરવો.
