વાંકલ :
ઓનલાઈન દવાઓના વેચાણને કારણે સ્થાનિક મેડિકલ સ્ટોર્સને થઈ રહેલા આર્થિક નુકસાન અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના આક્ષેપોને લઈને ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશનના આહ્વાન પર તા. ૨૦ મે ૨૦૨૬ બુધવારે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મેડિકલ સ્ટોર્સોએ સ્વયંભૂ એક દિવસીય બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં આશરે ૭૫થી વધુ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. સાથે જ સમગ્ર સુરત જિલ્લામાં અંદાજિત ૬૫૦૦થી વધુ મેડિકલ સ્ટોર ધારકો આ બંધના એલાનમાં જોડાયા હતા.
માંગરોળ તાલુકા મેડિકલ એસોસિયેશનના પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે, સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ મનસુખભાઈ રૈયાણી ના માર્ગદર્શન હેઠળ તમામ કેમિસ્ટોને આ બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ઓનલાઈન દવાઓના વેચાણમાં ગ્રાહકોને વધુ કમિશન અને ડિસ્કાઉન્ટના લાલચ આપી ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઉપરાંત બોગસ અને શંકાસ્પદ દવાઓના વેચાણ અંગે પણ અનેક ફરિયાદો ઉઠી રહી હોવાનું જણાવાયું હતું.
મેડિકલ સ્ટોર્સ સંચાલકોનું કહેવું છે કે ઓનલાઈન વેચાણને કારણે નાના વેપારીઓને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે અને દવાના વેપારમાં અસમાન સ્પર્ધા ઊભી થઈ રહી છે. આ મુદ્દે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે મેડિકલ સ્ટોર ધારકોએ એક દિવસીય બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
