ભરૂચ :
આગામી તા. 23 થી 25 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થનાર છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સરકારી અને અનુદાનિત શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે આયોજન ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પ્રવેશોત્સવના તમામ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને નવા વિદ્યાર્થીઓના પ્રવેશ, શાળામાં બાળકોની હાજરી સુનિશ્ચિત કરવી તેમજ ડ્રોપઆઉટ બાળકોને ફરીથી શિક્ષણ સાથે જોડવા માટેના પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ ડ્રોપઆઉટ બાળકોના પુનઃપ્રવેશ માટે કરવામાં આવેલા સર્વે અને રી-સર્વેની કામગીરીને પ્રશંસનીય ગણાવી હતી. સાથે જ પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ રૂટ પ્લાન, અધિકારીઓની જવાબદારીઓ તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના પ્રવાહ સાથે જોડવાનો, શાળાછૂટા બાળકોને પુનઃપ્રવેશ અપાવવાનો અને “બધા ભણે, આગળ વધે” ના સંકલ્પને મજબૂત બનાવવાનો છે.
