ભરૂચ: ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી, ઔદ્યોગિક સુવિધા અને વિકાસને વેગ આપવા માટે અંકલેશ્વર GIDC ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. 482 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘પ્રોજેક્ટ અસ્મિતા’ અંતર્ગત 13 કંપનીઓના સહયોગથી 526 દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરીના નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભરૂચ પોલીસ માત્ર સુરક્ષા પૂરતી સીમિત ન રહી પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદાર બની રહી છે. પોલીસ દ્વારા સ્થાનિક મહિલાઓને ઉદ્યોગોમાં રોજગારી અપાવવાની પહેલ અંતર્ગત 500થી વધુ મહિલાઓને નોકરી મળી છે અને તેમને રૂ.17 હજારથી વધુનો પ્રારંભિક પગાર મળતાં પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.
આ પ્રસંગે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ચોરીમાં રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને ચેક સ્વરૂપે પરત સોંપવામાં આવ્યો હતો. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં GFL કંપનીમાં થયેલી રૂ.3.16 કરોડથી વધુની ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવા બદલ ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો માટે ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ, નવા ઔદ્યોગિક શેડ, સ્ટ્રીટલાઇટ તથા જંબુસરના બલ્ક ડ્રગ પાર્ક માટેની 40 MLD પાણી પુરવઠા યોજના સહિતના પ્રકલ્પો મહત્વપૂર્ણ સાબિત થશે. અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટ નગરમાં 510થી વધુ ટ્રકોના પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે, જ્યારે 144 નવા ઔદ્યોગિક શેડથી MSME ઉદ્યોગોને લાભ મળશે.
કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો અરૂણસિંહ રણા સહિતના આગેવાનો, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
