ભરૂચ :
ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે રૂ.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ આધુનિક બાંધકામો અને સુવિધાઓનું રવિવારે રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ સહિતના વિભાગોના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી કમલેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય કરી તકતીનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ તેમણે નવનિર્મિત સુવિધાઓની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટેની આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાયબ્રેરી, ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસનો સમાવેશ થાય છે.
જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ફ્લેગ પોસ્ટ, સંત્રી બોક્સ, ગાર્ડ રૂમ તથા કિચન-ડાઇનિંગની સુવિધા ધરાવતી એસઆરપી બેરેકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત જેલની સમગ્ર આઠ એકર જમીન ફરતે મજબૂત કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરાયું છે.
મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ગૃહ અને જેલ વિભાગ દ્વારા મુખ્યમંત્રીની પ્રેરણાથી આશરે રૂ.16 કરોડના ખર્ચે આ અદ્યતન સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. જેલોના આધુનિકીકરણ સાથે કેદીઓના સુધારાત્મક અને કલ્યાણલક્ષી અભિગમને પણ સરકાર મહત્વ આપી રહી છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી અને અરૂણસિંહ રણા, વડોદરા ઝોનના જેલ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષાબેન રાડા, ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.સી. રાઠોડ સહિત જેલ તંત્રના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
