ભરૂચ જિલ્લા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવેઠા ખાતે 21મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. સોમદાસ બાપુ ફાર્મમાં આયોજિત આ કાર્યક્રમ માં મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો.
આ સમૂહ લગ્નોત્સવમાં પટેલ, પ્રજાપતિ અને વસવા સમાજ સહિત કુલ 15 નવયુગલોએ સમાજ અને ભૂદેવોની સાક્ષીએ સાદગીપૂર્વક વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં સરળતા અને સંસ્કારસભર વાતાવરણ જોવા મળ્યું હતું.
આજના સમયમાં લગ્ન પ્રસંગો વધુ ખર્ચાળ અને દેખાવડા બનતા જાય છે, ત્યારે આવા સમૂહ લગ્નોત્સવો સમાજમાં મિતવ્યયિતા અને સામાજિક એકતાનો સશક્ત સંદેશ આપે છે. આ પહેલ વધતા લગ્નખર્ચ અને દેખાદેખીની પ્રવૃત્તિ સામે અસરકારક રાહત પૂરી પાડે છે.
કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, નર્મદા એજ્યુકેશનના નરેશ ઠક્કર, સમસ્ત વણકર સમાજના પ્રમુખ કાંતિ પરમાર અને ડીઆઈએના બળદેવ આહિર સહિત અનેક આગેવાનો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમૂહ લગ્નોત્સવ માત્ર સામાજિક કાર્યક્રમ પૂરતો સીમિત નથી, પરંતુ સમાજને નવી દિશા આપતો પ્રેરણાત્મક પ્રયાસ બની રહ્યો છે. આ પહેલ દ્વારા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી રાહત મળે છે તેમજ સમાજમાં વ્યાપક બનેલી દેખાદેખી અને અતિખર્ચની માનસિકતા સામે સકારાત્મક સંદેશ પ્રસારિત થાય છે.
