ભરૂચ:
વાલિયા તાલુકાની એક પરિણીતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ સામે વર્ષો સુધી માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ ભરૂચ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદમાં દીકરીના જન્મ બાદ સતત હેરાનગતિ, મારઝૂડ, છૂટાછેડાની નોટિસ, દાગીના પરત ન આપવાના પ્રયાસો તેમજ દીકરીને મિલકતમાં હક ન મળે તે માટે કાવતરું કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
ફરિયાદ અનુસાર, વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતી 45 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2003માં સમાજના રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરીનો જન્મ થયો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે દીકરીના જન્મ બાદ પતિ સહિત સાસરીયાઓનો વ્યવહાર બદલાઈ ગયો હતો અને પુત્ર ન જન્મતા વારંવાર મેણાં-ટોણાં મારી માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી. પુત્ર થાય તે માટે દવાઓ પણ કરાવવામાં આવતી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પતિ દારૂના નશામાં ઝઘડો કરી મારઝૂડ કરતો હતો, જેથી વર્ષો સુધી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. લગભગ ચાર વર્ષ અગાઉ પતિએ છૂટાછેડાની નોટિસ મોકલી હતી અને ત્યારબાદ પરિણીતા તથા તેમની દીકરીને અલગ રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
પરિણીતાએ વધુ આક્ષેપ કર્યો છે કે લગ્ન સમયે તેમજ શ્રીમંત પ્રસંગે મળેલા સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ હજુ પણ પતિના કબજામાં છે. ઉપરાંત, દીકરીને મિલકતમાં હક ન મળે તે માટે મિલકતના દસ્તાવેજોમાંથી નામ દૂર કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે આ મામલે કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીનો વધુ આક્ષેપ છે કે પતિ દ્વારા તેમને નોકરીના સ્થળે તેમજ જાહેરમાં બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને દીકરી તેમજ માતા-પિતાને પણ હેરાન કરવા માટે પોલીસમાં અરજીઓ કરવામાં આવી હતી.
આ મામલે ભરૂચ મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
