ભરૂચ:
ભરૂચના અગ્રણી ઉદ્યોગપતિ અને સેઠના ગ્રુપના સ્થાપક સભ્યોમાંના એક સ્વર્ગસ્થ શામ બુરજોરજી સેઠનાની આજે 16મી પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
25 જુલાઈ, 2010ના રોજ તેઓ સ્વર્ગસ્થ થયા હતા. સામાન્ય પરિવારમાંથી જીવનની શરૂઆત કરીને તેમણે પોતાની મહેનત, દૃઢ સંકલ્પ અને દૂરંદેશી વિચારસરણીના બળે થિયેટર, હોટલ, આઈસ ફેક્ટરી તેમજ શોપિંગ મોલ સહિતના અનેક સફળ વ્યવસાયોની સ્થાપના કરી હતી. પોતાના સ્વર્ગસ્થ ભાઈઓ મિનૂ સેઠના અને નોશિર સેઠના સાથે મળીને તેમણે ભરૂચમાં પ્રતિષ્ઠિત સેઠના ગ્રુપને વિકસાવ્યું હતું, જે આજે પણ વ્યવસાયિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.
શામ સેઠના માત્ર સફળ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સેવાભાવી અને માનવતાવાદી વ્યક્તિત્વ તરીકે પણ જાણીતા હતા. તેમનો હંમેશા હસતો ચહેરો, સરળ સ્વભાવ, વિનમ્રતા અને જરૂરિયાતમંદોની નિઃસ્વાર્થ મદદ કરવાની ભાવનાને કારણે તેઓ સમાજમાં સૌના પ્રિય બન્યા હતા. તેઓ જરથોસ્તી ધર્મના શ્રદ્ધાળુ અનુયાયી હતા અને પરિવારના મજબૂત આધારસ્તંભ તરીકે પણ તેમની આગવી ઓળખ હતી.
પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના જીવનમૂલ્યો, પ્રામાણિકતા, સેવાભાવ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. તેમના દ્વારા સ્થાપિત મૂલ્યો અને વ્યવસાયિક વારસો આજે પણ સમાજમાં જીવંત છે.
પુણ્યતિથિના અવસરે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજસેવા તથા માનવતાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
