ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં શાહપુરા ગામે મોટા ફળિયામાં રહેતાં પ્રવિણ કાંતીભાઇ પટેલના બન્ને પુત્ર ચાવજ ગામે રહેતાં હતાં. દરમિયાનમાં તેમના પુત્રને ત્યાં સામાજિક પ્રસંગ હોઇ તેઓ ચાવજ ગયાં હતાં. તેમજ રાત્રીના સમયે ત્યાં જ રોકાઇ ગયાં હતાં. શાહપુરા ગામનાં તેમના ઘરે કોઇ હાજર ન હોઇ તાળું માર્યું હતું. દરમિયાનમાં બીજા દિવસે સવારના પોણા સાત વાગ્યાના અરસામાં તેમના પાડોશીએ તેમને ફોન કરી જાણ કરી હતી કે, તેમના મકાનનું તાળું તુટેલી હાલતમાં છે. તેમજ તેઓએ બહારથી જ અંદરના તરફ નજર મારતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો. પાડોશીનો ફોન આવતાં જ પ્રવિણભાઇ તુરંત તેમના બન્ને પુત્રો સાથે શાહપુરા દોડી આવ્યાં હતાં. તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં ઘરમાંનો તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમજ તેમના ઘરમાંથી 1.60 લાખનું 20 ગ્રામનું સોનાનું મંગળસુત્ર, 40 હજારના મત્તાની 5 ગ્રામની એક જોડ બુટ્ટી, 40 હજારની સોનાની કાનની કડી, 80 હજારની 4 વિંટી, 10 હજારના ચાંદીના સાંકળા તેમજ 80 હજારની એક સોનાની ચેઇન મળી કુલ 4.50 લાખથી વધુની મત્તાના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે આખરે ઘટનાને પગલે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
